વધુ પડતી અપેક્ષા ઘણી વાર દુઃખ પહોંચાડતી હોય છે અને તેથી જ સંતુલન જાળવી રાખવું હંમેશાં જરૂરી હોય છે તેમ ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલદેવે તાજેતરમાં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના થયેલા પરાજયના સંદર્ભમાં જણાવ્યું હતું.
ગયા સપ્તાહે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. આ અંગે 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સુકાનીએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટપ્રેમીઓએ વધુ પડતા દબાણથી દૂર રહેવું જોઇએ અને અન્ય રમતની માફક જ ક્રિકેટને જોવું જોઇએ. એટલી બધી અપેક્ષા રાખશો નહીં જેનાથી અંતે નિરાશા સાંપડે. આપણે બેલેન્સ રાખવું જરૂરી છે. વર્લ્ડ કપ જીતવા માટે અન્ય ટીમો પણ ભારત આવી હતી. જે તે દિવસે જે ટીમ સારી રમત દાખવે તેને સફળતા મળે છે અને આપણે તેનો આદર કરવો જોઇએ. આપણે પણ લાગણીશીલ છીએ. તેમ અહીં એક ગોલ્ફ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે આવેલા કપિલદેવે ઉમેર્યું હતું.
વર્લ્ડ કપમાં ભારતે સળંગ દસ મેચ જીતી હતી અને તેમાંની મોટા ભાગની મેચો એકતરફી બની રહી હતી પરંતુ 19મી નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ બાજી ફેરવી નાખી હતી. ઓસ્ટ્રેલિયાએ પણ ફાઇનલ મેચ લગભગ એકતરફી બનાવી દીધી હતી.
2014થી 2023 દરમિયાન ભારતે ભાગ લીધો હોય તેવી આઇસીસીની ઇવેન્ટમાં ભારતીય ટીમ નોકઆઉટ તબક્કામાં સાત મેચ હારી છે. આ મેચોમાં ટીમ પર દબાણ રહેતું હતું કે નહીં તે અંગે હું જાણતો નથી તેમ કહીને કપિલદેવે જણાવ્યું હતું કે મને લાગે છે કે આજના ખેલાડીઓ જ જવાબ આપી શકે કે તેમની ઉપર કેટલું દબાણ હતું. આપણે માત્ર અનુભવી શકીએ છીએ.
જોકે કપિલદેવે કેટલાક પાસામાં તકેદારી રાખવી જરૂરી છે તેવા સંકેત આપ્યા હતા પરંતુ તે અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે જો ભારત જીત્યું હોત તો સારી લાગણી થઈ હોત પરંતુ કેટલાક પાસા પર ધ્યાન આપવાની જરૂર છે. એવું પણ નથી કે જીત્યા બાદ પણ તમારામાં કોઈ ખામી ન હોય. સૌથી મહત્વની બાબત એ છે કે તે ભૂલો કે ખામીઓને સુધારવાની. ભારતે જે હાંસલ કર્યું છે તેની ઉજવણી કરવાનો અનુરોધ કર્યો હતો નહીં કે ભારતે જે ગુમાવ્યું છે. આ અંગે કપિલદેવે જણાવ્યું હતું કે ભારતીય ટીમ સળંગ દસ મેચ જીતી છે તે પર્યાપ્ત નથી? આપણે અન્ય ટીમ તરફ પણ જોવું જોઇએ. મહત્વની બાબત એ છે કે આપણે એ જોવું જોઇએ કે તેઓ સારું રમ્યા હતા કે નહીં. આપણે ખૂબ સારી રમત દાખવી હતી. ફાઇનલનો દિવસ આપણો ન હતો એટલું જ. આ માટે કપિલદેવે વર્લ્ડ કપમાં રમેલી સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમના ઉદાહરણ આપ્યા હતા. તેમણે કહ્યું કે આપણે અન્ય ટીમના પ્રદર્શન પર નજર કરવી જોઇએ. ઇંગ્લેન્ડ ચેમ્પિયન હતું પરંતુ તે સાતમા ક્રમે રહ્યું. આ ઉપરાંત ફાઇનલ બાદ ડ્રેસિંગરૂમમાં જઇને ભારતીય ટીમને સાંત્વના આપવાનો પ્રયાસ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેષ્ટાની પણ કપિલદેવે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે જો ખુદ વડાપ્રધાન ટીમને પ્રોત્સાહિત ન કરે તો બીજું કોણ કરી શકે. તેઓ દેશના નંબર વન વ્યક્તિ છે અને જો તેઓ ટીમને સપોર્ટ કરતા હોય તો તેનાથી સારી બાબત હોઈ શકે નહીં. કપિલદેવે ભારતના બે સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટી20ના ભાવિ અંગે કોઈ કોમેન્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો.