આમિરે ખાને તાજેતરમાં કહ્યું કે, “મુખ્ય અભિનેતા તરીકે મારી આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ 2024માં રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
2022માં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ખૂબ જ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ પછી તેણે બ્રેક લેવાનું નક્કી કર્યું અને હવે જનતા જાણવા માંગે છે કે આમિર ફરી ક્યારે મોટા પડદા પર જોવા મળશે?
જ્યારે આમિરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે સિતારે જમીન પર વિશે અપડેટ આપ્યું. સાથે જ આગામી 8 થી 10 વર્ષમાં તેઓ શું કરવા જઈ રહ્યા છે તેની પણ વાત કરી હતી.
આમિરે તેના આગામી પ્રોજેક્ટ વિશે કહ્યું, “મુખ્ય અભિનેતા તરીકે મારી આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ હશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અમે તેને આ વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ 2024માં રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મને એ ફિલ્મ બહુ ગમે છે. તેની વાર્તા ઘણી સારી છે. તો એક વાત એ અને તે સિવાય તમે મને તે પહેલા પણ જોઈ શકશો. ફિલ્મોમાં નહીં પણ હું બીજી બે-ત્રણ વસ્તુઓ કરી રહ્યો છું.’
આમીર ખાને આગળ કહ્યું કે, ‘હું એક કે બે નાના રોલ કરી રહ્યો છું. જે તમને ગમશે. મેં એક-બે ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. જેમાંથી એકનું નામ છે ‘અતિ સુંદર’. જેમાં મેં કેમિયો કર્યો છે. તે બે-ત્રણ મહિનામાં અથવા વધુમાં વધુ છ મહિનામાં આવશે. પરંતુ લીડ રોલવાળી ફિલ્મ માત્ર ‘સિતારે જમીન પર’ હશે.’
આમીર ખાન વધુને વધુ કામ કરવા માંગે છે અને આ વિશે એમને કહ્યું કે “મેં વિચાર્યું છે કે આગામી 8-10 વર્ષોમાં હું શક્ય તેટલું વધુ કામ કરવાનો પ્રયાસ કરીશ. માત્ર નિર્માતા તરીકે નહીં. એક્ટર તરીકે પણ. હું આગામી વર્ષોમાં દર વર્ષે મારી એક ફિલ્મ રજૂ કરવાનો પ્રયાસ કરીશ. હું પણ બને તેટલી વધુ ફિલ્મો બનાવવા માંગુ છું. આમિર ખાન પ્રોડક્શન હાઉસ દેશ અને દુનિયામાં નવી પ્રતિભાઓ લાવે છે. મારી વિચારસરણી એવી હતી કે જો હું વધુ ફિલ્મો બનાવીશ તો હું દર્શકોને મને ગમતી બધી વસ્તુઓ બતાવી શકીશ.’
નોંધનીય છે કે આમિર ખાન સની દેઓલ સાથે પણ કામ કરશે. આમિર સની દેઓલની આગામી ફિલ્મ ‘લાહોર 1947’ના નિર્માતા છે. જેને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરશે. તેના સિવાય અલી ફઝલ અને પ્રીતિ ઝિન્ટા પણ આ ફિલ્મનો ભાગ હશે.