અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ તથા ગયા વખતની ચેમ્પિયન ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે શનિવારે પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે ઉદય સહારનના નેતૃત્વ હેઠળની ટીમ ટાઇટલ જીતવાની પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
ગ્રૂપ-એમાં પાંચ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાં એશિયન હરીફ સામે રમ્યા બાદ આયરલેન્ડ અને અમેરિકા સામે રમશે. ભારતે 2002માં મોહમ્મદ કૈફના નેતૃત્વમાં પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારત 2008, 2012, 2018 તથા 2022માં ચેમ્પિયન બન્યું હતું. આઇસીસીની આ ટૂર્નામેન્ટ અગાઉ શ્રીલંકામાં રમાવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ સાઉથ આફ્રિકાને યજમાની સોંપી હતી. ચાર ગ્રૂપમાં ચાર-ચાર ટીમો છે અને પ્રત્યેક ગ્રૂપની ત્રણ ટોચની ટીમ સુપર-6માં પહોંચશે. સેમિફાઇનલ છઠ્ઠી અને આઠમી ફેબ્રુઆરીએ રમાશે. ત્યારબાદ 11મી ફેબ્રુઆરીએ ફાઇનલ મુકાબલો રમાશે. ભારતીય ટીમ બેંગ્લોર સ્થિત એનસીએ ખાતે કેમ્પ યોજીને આફ્રિકા પહોંચી છે. આ પહેલાં એશિયા કપ અને સાઉથ આફ્રિકા ખાતેની ત્રિકોણીય શ્રોણી રમી હતી. એશિયા કપમાં ભારત સેમિફાઇનલમાં હારી ગયું હતું પરંતુ આફ્રિકન ધરતી ઉપર ટ્રાઇ સિરીઝ જીતી હતી. ભારતીય ટીમમાં આઇપીએલનો કરાર મેળવનાર બે ખેલાડીઓ પણ સામેલ છે. ગયા વર્ષે બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા મુશીર ખાન અને સુકાની સહારન ઉપર તમામની નજર રહેશે. બોલર રાજ લિમ્બાનીએ તાજેતરમાં નેપાળ સામે સાત વિકેટ ઝડપી હતી.