કોઈપણ સાઉથ ઈન્ડિયન ફૂડની સાથે નારિયેળની ચટણી ન હોય તો તેને ખાવાની મજા નથી આવતી. નારિયેળમાંથી બનતી ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે વાનગીનો સ્વાદ વધારી દે છે. મેંદુવડા, ઈડલી, ઢોસા, ઉત્તપમ સહિત ઘણી એવી સાઉથ ઈન્ડિયન વાનગીઓ છે જેની સાથે નારિયેળની ચટણી પીરસવામાં આવે છે. આજે અમે તમને સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ નારિયેળની ચટણી બનાવવાની રેસિપી જણાવીશું.
જે કોઈ આ ચટણીને ખાશે તેઓ તમારા વખાણ કર્યા વગર રહી જ નહીં શકે.
સામગ્રી
1 કપ ફ્રેશ નારિયેળના ટુકડા, અડધી ચમચી જીરું, અડધો કપ દહીં, 2 કળી લસણ, કોથમીર, 2 લીલા મરચા, સ્વાદ મુજબ મીઠું, રાઈ, તમાલપત્ર, આખું લાલ મરચું
નારિયેળની ચટણી બનાવવાની રીત
સૌથી પહેલા નારિયેળના નાના-નાના ટુકડા કરીને મિક્સરની જારમાં નાખી દો.
સાથે જ તેમાં લસણ, જીરું, કોથમીર, મીઠું, લીલું મરચું અને દહીં ઉમેરીને બરાબર પીસી લો.
હવે તેને કોઈ એક બાઉલમાં કાઢો અને પછી તડકો લગાવો.
તડકો લગાવવા માટે કડાઈમાં તેલ નાખીને ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈને તતડાવો.
સાથે જ તેમાં તમાલપત્ર નાખો અને છેલ્લે આખા લાલ મરચાના બે ટુકડા કરી નાખી દો.
ગેસની ફ્લેમને બંધ કરો અને આ તડકામાં ચટણી ઉમેરી દો.
તૈયાર છે સ્વાદિષ્ટ નારિયેળની ચટણી.