હાલમાં કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તથા તેની સાથે કરારબદ્ધ બ્રોડકાસ્ટરને રાહત આપતા 2024ના મધ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરનારી છે અને શ્રીલંકા સામે તે લિમિટેડ ઓવરની છ મેચની સિરીઝ રમશે જેમાં વન-ડે અને ટી20 મેચ સામેલ હશે.બોર્ડના સરકારની દરમિયાનગીરી હોવાને કારણે તાજેતરમાં જ આઇસીસીએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
જેને પગલે શ્રીલંકામાં યોજાનારા અંડર-19 વર્લ્ડ કપનું આયોજન પણ તેમની પાસેથી છીનવીને સાઉથ આફ્રિકાને ફાળવી દેવામાં આવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે અંદરોઅંદર સિરીઝના કરાર હેઠળ આ સિરીઝ નક્કી કરવામાં આવી છે. આઇસીસીએ જોકે બોર્ડને સસ્પેન્ડ કરતી વખતે એ ખુલાસો કર્યો હતો કે તેમની નેશનલ ટીમ (મેન્સ અને વિમેન્સ) બોર્ડના દ્વિપક્ષીય કરાર અંતર્ગત રમી શકશે. 2024ના કેલેન્ડર મુજબ ભારતીય ટીમને જુલાઈ-ઓગસ્ટમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચ માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો હતો. શ્રીલંકન ટીમ 2024માં બાવન ઇન્ટરનેશનલ મેચ રમવાની છે જેમાં દસ ટેસ્ટ, 25 વન-ડે અને 21 ટી20 ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે. તેઓ ટી20 વર્લ્ડ કપમાં પણ રમવાના છે. શ્રીલંકન ટીમ આ વર્ષે ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટની સિરીઝ અને સાઉથ આફ્રિકામાં બે ટેસ્ટની સિરીઝ રમશે.