મનોજ બાજપાઈનું માનવું છે કે દેશના કેટલાક લોકો મારા અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા દેખાય છે. તેનું એવું પણ કહેવું છે કે લોકોને સામાન્ય જીવન સાથે જોડાયેલી સ્ટોરી પસંદ પડે છે. કરીઅરની શરૂઆતમાં મહેશ ભટ્ટ સાથે કામ કરવાના અનુભવને યાદ કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘હું જ્યારે મહેશ ભટ્ટ સાથે કામ કરતો હતો, હું તેમને અસિસ્ટ કરતો હતો. મેં ‘તમન્ના’માં રોલ કર્યો હતો.
અમે સાથે સમય પસાર કરતા હતા. એ વખતે મેં તેમને કહ્યું કે આપણું સિનેમા ખતમ થઈ રહ્યું છે, કારણ કે આપણા હીરો સામાન્ય લોકો જેવા નથી દેખાતા. એ એક ખતરો છે અને આ વાતને લઈને હું મહેશસાહબ સાથે હંમેશાં વિવાદ કરતો હતો. બાદમાં એક સમય એવો આવ્યો જ્યારે હું ખોટો પુરવાર થવા લાગ્યો. ફિલ્મો સફળ થવા લાગી અને ફિલ્મમેકર્સ જે મૂળ સ્ટોરી બનાવતા હતા તેઓ પણ ચોંકી ગયા હતા. ફિલ્મોનુ શૂટિંગ વિદેશમાં શરૂ થવા માંડ્યું હતું.’ત્યાર બાદ તેને ‘ન્યુ યૉર્ક’ ફિલ્મમાં પણ રોલ ઑફર કરવામાં આવ્યો હતો અને તેણે એ રોલ કરવાની ના પાડી દીધી હતી. એનું કારણ જણાવતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘મેં એમ કહ્યું કે હું તો એ દેશના લોકો જેવો દેખાતો નથી એથી એ રોલ મને ન આપો. મારો એ મોટો નિર્ણય હતો. એ મહત્ત્વાકાંક્ષી સમય હતો. એક વસ્તુ સ્પષ્ટ હતી કે મોટા ભાગના લોકો કોઈ ને કોઈ જેવા બનવા માગતા હતા.’
તેનું એવું માનવું છે કે જો લોકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવે તો એ લોકોને ગમે છે. એ વિશે મનોજે કહ્યું કે ‘વસ્તુસ્થિતિ ત્યારે જ બદલાશે જ્યારે આપણે લોકોને દેખાડતી સ્ટોરી દેખાડીશું અને હીરો દર્શકોની વચ્ચેથી લેવામાં આવે. આપણે રિયલિસ્ટિક ફિલ્મો બનાવીએ, જેમાં સામાન્ય વ્યક્તિઓને કેન્દ્રમાં રાખવામાં આવે. નવાઝુદ્દીને જે કહ્યું એ વાત પણ સાચી છે કે આપણા દેશના અનેક લોકો મારા અને નવાઝ જેવા દેખાય છે. એક સમય હતો જ્યારે લોકો કોઈના જેવા બનવા માગતા હતા. તેઓ પોતાના હીરોને ગ્રીક ગૉડ તરીકે જોવા માગતા હતા. મેં જેમ અગાઉ કહ્યું એમ એ સમય મહાત્ત્વાકાંક્ષી હતો અને હવે આ રિયલિસ્ટિક સમય છે.’