ઇંગ્લેન્ડના ઉપસુકાની ઓલી પોપે જણાવ્યું હતું કે ચોથી ટેસ્ટમાં ટર્ન લેતી પિચ ઉપર અમને કોઈ મુશ્કેલી નડશે નહીં કારણ કે મુકાબલાની શરૂઆતથી જ સ્પિનર્સને મદદ મળે તેવી સંભાવના હોવાના કારણે મુકાબલો બરાબરીનો રહેશે.
હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ તથા રાજકોટ ખાતેની તમામ ટેસ્ટમાં સ્પોર્ટીંગ પિચ હતી જેમાં સ્પિનર્સ, પેસ બોલર્સ તથા બેટ્સમેનોને મદદ મળી હતી અને આ ત્રણેય ટેસ્ટની પિચ સ્પિનર્સને માફક આવે તેવી નહોતી. રાંચીમાં પ્રથમ બોલથી સ્પિન મળશે તો ટોસની ભૂમિકા મહત્ત્વ વિનાની બની જશે. ઘણી વખત મેચની શરૂઆતમાં પિચ સપાટ હોય છે પરંતુ બોલર્સના ફૂટમાર્કના કારણે પિચ ખરાબ થવાનું શરૂ થાય છે. અમે પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદ ટેસ્ટ જીતી હતી. ભારતે બાકીની બેમાં પ્રથમ બેટિંગ કરીને વિજય હાંસલ કર્યા હતા.
ઓલી પોપે જણાવ્યું હતું કે રાંચીમાં બોલને ટર્ન મળશે તો અમારા સ્પિનર્સને વિકેટ ઝડપવાના વિકલ્પ મળશે. અમે જે રીતે સમીક્ષા કરી છે તે જોતાં પિચ સ્પિન ફ્રેન્ડલી રહેશે તો મેચમાં અમારું પલડું ભારે રહેશે.અમારી પાસે યુવા મેચવિનર સ્પિનર્સ છે અને તેમણે ત્રણેય ટેસ્ટમાં સારા સ્પેલ નાખ્યા છે. પિચ સ્પિન ફ્રેન્ડલી રહેશે તો વધારે સ્વીપ શોટ્સ તથા નવા પ્રકારના શોટ્સ જોવા મળી શકે છે. જાડેજા, અશ્વિન તથા કુલદીપ સ્પિન લેતી પિચ ઉપર કેટલા ખતરનાક સાબિત થાય છે તેનાથી અમે માહિતગાર છીએ. પ્રથમ દિવસથી બોલ ટર્ન થશે તો ચોથી ટેસ્ટમાં અમારો આત્મવિશ્વાસ વધારે મજબૂત થશે અને અમે શ્રેણી સરભર કરવામાં સફળ રહીશું.